|
અતિ પ્રાચીન - પ્રભાવશાળી અને શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથજી તીર્થ.. |
|
|
|
ધર્મલોક
|
|
Written by GS News
|
|
Wednesday, 17 September 2008 |
|
શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથજી તીર્થ
આ તીર્થ અને પ્રતિમાજીના અનેક ચમત્કારોની વાતો આજે પણ ચર્ચાય છે
જેનાથી સંસાર સાગરમાં ડૂબતા ને ઉગારી લઈ મોક્ષ પહોંચાડે તેનું નામ તીર્થ.
આ ન્યાયે દરેક પ્રતિમાજી અને દેરાસર તીર્થ છે. છતાં તીર્થ શબ્દ
તીર્થંકરોના કલ્યાણકો થયા હોય અથવા ભાવને વિશેષ પ્રકારે ઉત્પન્ન કરનારી
જયાં ખાસ વિશિષ્ટતા હોય ત્યાં જ રુઢ થયેલ છે.
આવું જ એક તીર્થ પાલનપુર થઈ ડિસાથી ૨૦-૨૫ કિલોમીટર દૂર આવેલ ભીલડીયાજી
તીર્થ છે. ભીલડીયાજી પાર્શ્વનાથની પ્રતિમાવાળા દેરાસરને તીર્થ કહેવામાં
આવ્યું છે. તેના સાનિધ્ય માત્રથી માણસના આત્મામાં અદ્ભૂત ભાવ, સમ્યકત્વથી
જાગૃત કરવાની પ્રબળ ભાવના અસ્તિત્વમાં આવે છે.
અતિ પ્રાચીન શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા અદ્ભૂત ચમત્કારભરી હોવાથી તેને
ભીલડીયાજી પાર્શ્વનાથજી તરીકે ઓળખવામાં આવે છે અને તે પ્રતિમા સંપ્રતિ
મહારાજાએ ભરાયેલી હોય તેમ જણાય છે.
બે બાજી કાઉસ્સગિયા શિખરબંધ દેવગૃહ ઉપર સમફણાધારી ધરવોદિ તથા નવગ્રહ, યક્ષ
શાસન દેવતા વગેરેથી ખૂબજ સુશોભિત પરિકરમાં સાથે જ કોતરાયેલી આ પ્રતિમા
શ્યામ, સુંદર ઘાટીલી અને આકર્ષક મન મોહી તથા દેદિપ્યમાન છે.
અતિ પ્રભાવશાળી જૈન પ્રતિમાની ગણના કરવામાં આવે છે.
આ તીર્થ અને પ્રતિમાના ચમત્કારો અંગે અનેક વાતો ચર્ચાય છે.
ભીલડીયાજી પાર્શ્વનાથજીની આ મૂર્તિ પ્રાચીન સમયમાં મંદિરમાં મુખ્ય ગાદી પર નહિં પણ ભોંયરામાં
મૂળનાયકજી શ્રી નેમનાથ પ્રભુની મૂર્તિની ડાબી બાજુ ચોકીના ભારવટનીચે બિરાજમાન હતી. વિ.સ. ૧૮૭૨ અગાઉ ભીલડી ગામ વસ્યુ નહોતુ તે અગાઉ અત્રે નાશ પામેલ નગરના અવશેષવાળા નિર્જન અને ઝાડીયાળુ-ઉજ્જડ સ્થળ હતું. સરીપદ ગામના શ્રાવકોએ ભોંયરામાં જઈને જયારે પ્રતિમાજીને ગાદી ઉપરથી ઉત્થાપી અને ત્યાંથી બહાર કાઢવા માંડી ત્યારે તે ગભારાના બારણાના ઉપરના ભાગે અટકી પડે તે રીતે ઉંચાઈમાં વધી ગઈ, ત્યારે મોટા પ્રમાણમાં જંગલી ભમરા ઉડવાનો દેખાવ થયો. આથી શ્રાવકોએ માફી માગી અને પ્રતિમાજીને પોતાની અસલ જગ્યાએ ગોઠવી દીધી.
જુદા જુદા મંતવ્યો ને વિવિધ પુરાવા વચ્ચે અમુક અવશેષો અને આધારો વચ્ચે એક વાત જરૃર કહી શકાય કે અહિં મોટી નગરી હતી. તેમાં શ્રી પાર્શ્વનાથ જિનમંદિર પોતાના ચમત્કાર અને પ્રતાપથી અગ્રસ્થાને હતું. ચૌદમી સદીના મધ્ય ભાગ સુધી નગરીનો સૂર્ય સોળેકળાએ પ્રકાશતો હતો. ત્યાર પછી તે ગમે તે કારણસર નગરી નાશ પામી. તેમાંથી બચી શકયું માત્ર શ્રી પાર્શ્વનાથજીનું મંદિર - જો કે તેની હાલત ખંડિત હતી. શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પણ ઉપરની મુખ્ય ગાદી પરથી ખસેડવામાં આવતા તે બચી શકી.
મુસલમાનોએ પાટણ ઉપર હલ્લો કરાવ્યો હતો અને તેના માર્ગમાં જ આ સ્થળ આવેલ છે તેથી અત્રે હુમલો થયો હશે તેમ માની શકાય.
આ તીર્થનું એક પ્રાચીન નામ ભીમમલ્લી પણ હતું. વિક્રમના ચૌદમા સૈકામાં વિનાશની આંધી ઉતરી આવી. આ નગરીનો નાશ થશે એવી આગાહી આચાર્ય દેવ શ્રીમદ્ સોમપ્રભુસુરીજી મહારાજે કરીને સાચી ઠરી. તે સમયે આચાર્ય દેવ શ્રીમદ્ સોમપ્રભુ સૂરિજી મહારાજ આ નગરીમાં ચાર્તુમાસ રહ્યા હતા. શ્રુતજ્ઞાાનના બળથી તેમણે આ નગરીનો નાશ તરત થવાનો છે તેમ જાણી પ્રથમ કાર્તિક ચતુર્દશી એમ ચાર્તુમાસિક પ્રતિક્રમણ કરી ભીમપલ્લી છોડી તેઓ રાધનપુર ચાલ્યા ગયા. આચાર્ય દેવની ઇચ્છાને માન આપીને શ્રાવકો પણ નગરી છોડી અને રાધનપુર જઈ વસ્યા.
શ્રી સોમપ્રભસૂરિજીનો સાધુકાળ સં. ૧૩૨૧ થી ૧૩૭૩ સુધીનો છે. આ સમયગાળાના મધ્ય કાળમાં આ નગરીનો નાશ થયો હોય તેમ સંભવિત છે. વિ.સ. ૧૩૫૩ માં ગુજરાત સર કરવા નીકળેલ અલ્લાઉદીનની તુરકાણ સેના આ માર્ગથી નીકળી હોય અને આ નગરીને બાળી નાંખી હોય.
થોડા વર્ષો બાદ ભીમપલ્લી ફરી વસ્યું. ૧૮૭૨માં ભીલડી નામનું ગામ વસ્યું. પંન્યાસજી શ્રીમાન ઉમેદવિજયજી વિહાર કરતાં સં. ૧૯૨૬ ની સાલમાં દર્શનાર્થે ભીલડીયાજી પધાર્યા.
તેમણે શ્રી પાર્શ્વનાથજીની યાત્રા કરી. દેરાસર અને મૂર્તિની પ્રાચીનતા તથા ભવ્યતા જોઈ આનંદ પામ્યા. યાત્રાળુઓ આવે અને સારી સગવડ મળે તે માટે ડિસા શહેરના શ્રાવકો ને ભીલડિયા પાર્શ્વનાથજી તીર્થને વધારે પ્રકાશમાં લાવવા ઉપદેશ કર્યો. એ ઉપદેશને ડિસાના વિવેકી જૈનોએ બરાબર ઝીલ્યો અને ધીમેધીમે આ તીર્થનો વિકાસ થયો ને વધારે દીપતુ પ્રસિદ્ધ તથા સારી સગવડ અને વ્યવસ્થાવાળુ બનાવ્યું.
સંવત ૨૦૨૭ના ફાગણ સુદ ૧૧ ઘણી જ ધામધૂમથી શ્રી પાર્શ્વનાથ ભગવાન તેમજ બીજા બધા ભગવાનને નવીન બંધાયેલ મનોહર દેરાસરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. આ તીર્થની ભૂમિ પણ પ્રભાવશાળી હોવાથી શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુજીના આ તીર્થમાં બાવન જિનાલય નિર્માણ કરવાનું નક્કી થયુ અને મૂળ દેરાસરની ભવ્યતાને અનુરૃપ બાવન જિનાલયની પણ ભવ્ય રચના થઈ.
આ તીર્થમાં પહેલી જ વારના દર્શનથી અંતરાત્મામાં ભવ્ય ભાવો ઉત્પન્ન થાય છે. સંસારમાં ભટકતા અને અશાંતિ અનુભવતા લોકો માટે આ ભીલડીયાજી શ્રી પાર્શ્વનાથજીનું મંદિર એ પથદર્શક છે.
|